એક વિશ્વ : એક માનવતા શિખર સંમેલન
ન્યૂ યોર્ક · ૨૯ ઓગસ્ટ ૨૦૨૬
કાર્ય આહ્વાન
પાંચ સંકલ્પ. એક સંયુક્ત માનવ-પરિવાર.
આજે આપણે માનવતા માટે વધુ એક અત્યંત નિર્ણાયક ક્ષણે એકત્રિત થયા છીએ.
આપણે એવી પરંપરાઓમાંથી આવીએ છીએ જે રાષ્ટ્રો કરતા પણ પ્રાચીન છે—શાસ્ત્રો, વંશ-પરંપરાઓ અને પ્રાર્થના-પદ્ધતિઓમાંથી, જેમણે આપણી માનવ-જાતિ દ્વારા અનુભવાયેલા પ્રત્યેક ઉલ્લાસ અને પ્રત્યેક વિપત્તિ વચ્ચે અબજો મનુષ્યોનું માર્ગદર્શન કર્યું છે. આપણે આસ્થાની તે અસાધારણ શક્તિને જાણીએ છીએ જે ઉપચાર, મેળાપ અને પ્રેરણા પ્રદાન કરી શકે છે—અને તે પીડાદાયક સત્યને પણ જાણીએ છીએ કે ધર્મનો ક્યારેક વિભાજન કરવા, બહિષ્કૃત કરવા અને હિંસાને ન્યાયી ઠેરવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. આપણને આ બંને પ્રકારનો વારસો પ્રાપ્ત થયો છે અને તેની સાથે તેમાંથી ઉદભવેલી જવાબદારી પણ.
જ્યારે આપણે અહીં એકત્રિત થયા છીએ, શહેરો પર બોમ્બમારો થઈ રહ્યો છે અને પરિવારો પોતાના બાળકોને દફનાવી રહ્યા છે. જે પડોશીઓએ પેઢીઓ સુધી સાથે મળીને પ્રાર્થના કરી, તેઓ હવે એકબીજાથી ભયભીત છે. નફરત સીમાઓ ઓળંગી રહી છે અને આપણા પડદાઓ દ્વારા અભૂતપૂર્વ ગતિએ ફેલાઈ રહી છે. સંસ્થાઓ પર અને એકબીજા પરનો વિશ્વાસ નબળો પડી રહ્યો છે, જ્યારે નવી ટેકનોલોજીઓ તે પરિવર્તિત કરી રહી છે કે મનુષ્યો કેવી રીતે સંવાદ કરે છે, સત્યને સમજે છે, શક્તિનો પ્રયોગ કરે છે અને ભવિષ્યની કલ્પના કરે છે.
કોઈપણ સરકાર, સંસ્થા અથવા ટેકનોલોજી એકલા આ ક્ષણની જવાબદારી વહન કરી શકતી નથી. ધાર્મિક નેતાઓ પણ એકલા આવું કરી શકતા નથી. પરંતુ એક એવી જવાબદારી છે જે વિશિષ્ટ રીતે આપણી છે.
આપણી વિવિધ પરંપરાઓ, આસ્થાઓ, ઇતિહાસો અને સંસ્કૃતિઓ વચ્ચે આપણે એક મૂળભૂત સત્યની પુષ્ટિ કરીએ છીએ:
પ્રત્યેક મનુષ્ય ગરિમા-સંપન્ન છે,
કોઈપણ સમુદાય બીજા કરતા ઓછો માનવ નથી,
અને કોઈ અન્યનું દુઃખ માત્ર એટલા માટે આપણા માટે અપ્રસ્તુત ન હોઈ શકે કે તે આપણું પોતાનું દુઃખ નથી.
એકતા માટે એકરૂપતા આવશ્યક નથી. દ્રઢ વિશ્વાસ માટે તિરસ્કાર આવશ્યક નથી. બીજા મનુષ્યની માનવતાની રક્ષા કરવી આપણી પોતાની માનવતાને ઓછી કરતી નથી.
અતઃ આપણી સમક્ષ પ્રશ્ન માત્ર એ નથી કે આપણે શું માનીએ છીએ. પ્રશ્ન એ છે કે આપણે શું કરવા માટે તત્પર છીએ.
આપણા પાંચ સંકલ્પ
૧. આપણે સ્વયંથી આરંભ કરીશું.
આપણે સૌથી પહેલા આપણા જ સમુદાયોના શબ્દો, ઉપદેશો, સંસ્થાઓ અને આચરણોનું પરીક્ષણ કરીશું. આપણે નફરત, અપમાન, અમાનવીયકરણ અથવા હિંસાને ન્યાયી ઠેરવવા માટે ધર્મના ઉપયોગને અસ્વીકાર કરીશું અને એ શીખવીશું કે ઉંડો વિશ્વાસ, ભિન્ન મત ધરાવનારાઓ પ્રત્યેના સન્માન સાથે સહ-અસ્તિત્વ ધરાવી શકે છે.
શાંતિનો આરંભ પોતાના જ સમુદાયોને જવાબદાર ઠેરવવાના સાહસથી થાય છે.
૨. આપણે એકબીજાના પક્ષમાં ઊભા રહીશું.
જ્યારે કોઈ અન્ય સમુદાય પર સંકટ આવશે, ત્યારે આપણે તેને એકલો નહીં છોડીએ. જ્યારે કોઈ મનુષ્યને અમાનવીય ઠેરવવામાં આવે અથવા નિશાન બનાવવામાં આવે, ત્યારે આપણે બોલીશું—પછી ભલે તે આપણા પોતાના સમુદાયનો હોય કે કોઈ અન્ય સમુદાયનો, ભલે તે આપણી નજીક હોય કે આપણાથી દૂર.
અને જ્યારે આપણામાંથી કોઈ વ્યક્તિ કોઈ અન્ય સમુદાયની ગરિમાના પક્ષમાં સિદ્ધાંતનિષ્ઠ થઈને ઊભી રહેશે, ત્યારે આપણે તેની સાથે ઊભા રહીશું.
૩. જરૂરિયાત પડતા પહેલા આપણે સંબંધોનું નિર્માણ કરીશું.
આપણે ધાર્મિક અને સાંસ્કૃતિક સીમાઓ પાર આપણા સમુદાયોને—વિશેષ કરીને યુવાનોને—એકસાથે લાવીશું; કોઈ ત્રાસદીની પ્રતિક્રિયામાં નહીં, પરંતુ તેની પહેલાં.
આપણે તે લોકોની વાત સાંભળીશું જેમને આપણે ખોટા સમજ્યા છે અને એવા અવસરો નિર્મિત કરીશું જ્યાં તે લોકો, જેઓ અન્યથા એકબીજાને માત્ર અપરિચિતો, રૂઢિચુસ્ત ધારણાઓ અથવા હરીફો તરીકે મળતા, એકબીજાને મનુષ્ય તરીકે મળી શકે.
જે વ્યક્તિને આપણે જાણીએ છીએ, તેનાથી નફરત કરવી કઠિન હોય છે.
૪. આપણે મળીને સેવા કરીશું.
આપણે સામાન મૂલ્યોને સંયુક્ત કાર્યમાં પરિવર્તિતકરીશું. પરંપરાઓ અને સીમાઓ પાર આપણે ત્યાં સેવા કરીશું જ્યાં પીડા તાત્કાલિક હાજર છે—ભૂખ્યાઓ વચ્ચે, દર્દીઓ વચ્ચે, વિસ્થાપિતો વચ્ચે, ઉત્પીડિતો વચ્ચે અને ઉપેક્ષિતો વચ્ચે.
આપણે તે સાહસિક કાર્યોનું સમર્થન કરીશું જે અગાઉથી ચાલી રહ્યા છે, નહીં કે માન્યતા અથવા શ્રેય મેળવવા માટે તેમની સાથે સ્પર્ધા કરીશું.
આપણો સહયોગ માત્ર તે વાતોમાં દેખાવો ન જોઈએ જે આપણે સાથે મળીને કહીએ છીએ, પરંતુ તે કાર્યોમાં પણ દેખાવો જોઈએ જે આપણે સાથે મળીને કરીએ છીએ.
૫. આપણે ભવિષ્ય પ્રત્યે આપણી જવાબદારી સ્વીકારીશું.
જ્યાં ક્યાંય માનવ-ગરિમા દાવ પર હોય, ત્યાં આપણે આપણા નૈતિક પ્રભાવનો ઉપયોગ કરીશું—યુદ્ધ અને શાંતિ, ગરીબી અને તક, આપણી સૌની દુનિયાની દેખરેખ તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ઊભરતી ટેકનોલોજીઓ સંબંધિત નિર્ણયોમાં.
આપણે તે વાત પર આગ્રહ કરીશું કે માનવ-પ્રગતિ માનવ-જીવનની સેવામાં જ રહે અને ટેકનોલોજી માનવ-ગરિમા, સત્ય, સ્વતંત્રતા તથા માનવીય સંબંધોને સુદ્રઢ કરે, તેમનો હ્રાસ ન કરે.
વૈશ્વિક ઘોષણા ત્યારે જ સાર્થક છે, જ્યારે તે સ્થાનિક કાર્યમાં પરિણમે.
આ સંકલ્પો આ સભા સમાપ્ત થતાની સાથે જ સમાપ્ત નહીં થાય. આપણે પરસ્પર જોડાયેલા રહીશું, નેતૃત્વ કઠિન હોવા પર એકબીજાને સહયોગ કરીશું અને અહીં લેવાયેલા સંકલ્પો પ્રત્યે એકબીજાને જવાબદાર બનાવીશું. આપણામાંથી દરેક આ સંકલ્પોને પોતપોતાના ઘર સુધી લઈ જશે.
અતઃ આપણે અહીં એકત્રિત પ્રત્યેક નેતાને એક નક્કર કાર્ય કરવા માટે આહ્વાન કરીએ છીએ: એવા લોકોને એકત્રિત કરો જે સામાન્ય રીતે એકબીજાને નથી મળતા; પોતાના સમુદાયથી ભિન્ન કોઈ સમુદાય સાથે ઊભા રહો; જ્યાં તમારો પ્રભાવ હોય ત્યાં નફરતનો સામનો કરો; યુવાનો માટે કોઈ ધાર્મિક અથવા સાંસ્કૃતિક સીમા પાર કરવાનો અવસર ઉત્પન્ન કરો; કોઈ અન્ય સમુદાય સાથે મળીને સેવા કરો; અથવા એવી વાતચીતનો આરંભ કરો જેને ખૂબ લાંબા સમયથી ટાળવામાં આવી રહી છે.
એક કાર્ય પસંદ કરો અથવા કોઈ અન્ય કાર્ય નિર્ધારિત કરો પરંતુ તેને વિશિષ્ટ બનાવો.
તેને એક સ્થાન, એક ઉદ્દેશ્ય અને આગળ વધવાનો એક માર્ગ આપો. અમને જણાવો કે તમે શું કરવાનો નિશ્ચય રાખો છો. પછી અમને એ પણ જણાવો કે તમે શું કર્યું.
આપણે યથાર્થથી અનભિજ્ઞ નથી. માત્ર ધાર્મિક નેતાઓ યુદ્ધોને સમાપ્ત કરી શકતા નથી, નફરતનું ઉન્મૂલન કરી શકતા નથી અને પ્રત્યેક અન્યાયને ઉલટાવી શકતા નથી. પરંતુ આપણે શક્તિહીન પણ નથી. પ્રત્યેક ધાર્મિક નેતા કોઈ સમુદાયને પ્રભાવિત કરે છે. પ્રત્યેક સમુદાય બીજા સમુદાય સુધી પહોંચે છે. પ્રત્યેક સાહસિક કાર્ય કોઈ અન્ય સાહસિક કાર્યને સંભવ બનાવે છે.
એક વિશ્વ. એક માનવતા.
એટલા માટે નહીં કે આપણે બધા એક સરખા છીએ.
એટલા માટે નહીં કે આપણે પ્રત્યેક વાત પર સહમત છીએ.
બલ્કે એટલા માટે કે આપણી બધાની ગરિમા એક છે, આપણા ભવિષ્ય પરસ્પર જોડાયેલા છે અને આપણે આપણી પાછળ જે સંસાર છોડીશું, તેનું સ્વરૂપ એ વાતથી નિર્ધારિત થશે કે આપણે અત્યારે શું કરવાની પસંદગી કરીએ છીએ.
સ્વયંથી આરંભ કરતા.
એકબીજાના પક્ષમાં ઊભા રહેતા.
મળીને સેવા કરતા.
ભવિષ્ય પ્રત્યે જવાબદારી સ્વીકારતા.
આ જ આપણું કાર્ય આહ્વાન છે.
આયોજક : વિશ્વ ધાર્મિક નેતાઓની પરિષદ
આપણે સાથે ઉપસ્થિત રહીશું, દ્રઢતાપૂર્વક સાથે ઊભા રહીશું અને મુખર થઈને બોલીશું.