વેરાવળ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત માધવ સ્મારક સમિતિના વેરાવળ નગર સેવા વિભાગ દ્વારા સતત વરસી રહેલા વરસાદને પગલે અસરગ્રસ્ત નીચાણવાળા વિસ્તારોમાં માનવસેવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
વરસાદને કારણે જ્યાં ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ થઈ શકી નહોતી, તેવા વિસ્તારોમાં પહોંચી સમિતિના કાર્યકરો દ્વારા અંદાજે ૪૦૦ જરૂરિયાતમંદ લોકોને પૌષ્ટિક ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, વરસાદની પરિસ્થિતિ વધુ ગંભીર બન્યે અસરગ્રસ્ત પરિવારોને સલામત સ્થળે સ્થળાંતરિત કરી શકાય તે હેતુથી વિવિધ સામાજિક વંડીઓ તથા સામાજિક સંસ્થાઓ દ્વારા સંચાલિત હોલમાં રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.
સમિતિએ જરૂરિયાતમંદ પરિવારો સુધી શક્ય તેટલી ઝડપી રાહત પહોંચાડવા માટે સેવાકાર્ય સતત ચાલુ રાખ્યું હોવાનું જણાવ્યું છે.