વિવિધ સંગઠનોના સ્થાપક અને સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવરાવ ગોલવલકર “ગુરુજી”નો આજે જન્મદિવસ
માધવરાવ સદાશિવ ગોલવલકરજી, જેમને ગુરુજી તરીકે ઓળખવામાં આવે છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક હતા. ગુરુજી માત્ર એક સંગઠન ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’નું નેતૃત્વ કરતા જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રને માર્ગદર્શન આપતા એક યુગપુરુષ હતા. તેમના જીવન-કાર્યને જોવા અને સમજવા માટે આજે માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વભરમાં ફેલાયેલા ઘણા સંગઠનો અને તેમના કાર્યકર્તાઓ અભ્યાસ કરે છે.
સદાશિવ-લક્ષ્મીબાઈ દંપતીના આઠમા સંતાનનો યુગાબ્દ 5007 માઘ કૃષ્ણ એકાદશી (ઉત્તરમાં પૌષ) મૂળ નક્ષત્રમાં (19 ફેબ્રુઆરી 1906, સોમવાર) બ્રહ્મ મુહૂર્તે નાગપુરમાં મામાજી આબા રાયકરના ઘરે જન્મ થયો હતો. તિથિ, નક્ષત્ર વગેરે જોઈને તે પુત્રનું નામ ‘માધવ’ રાખાયું. માધવનું પ્રાથમિક શિક્ષણ રાયપુર, ચંદ્રપુર, ભંડારા અને ખંડવામાં થયું હતું. દરેક વર્ગમાં તે અગ્રણી છાત્રોમાંનો એક હતો. શિક્ષકના પ્રશ્નોના તાત્કાલિક જવાબ આપવા માટે તે માત્ર ઉત્સાહી જ નહીં, પરંતુ કુશળ પણ હતો. આ જ સમયગાળામાં, જ્યારે મધુની ઉંમર 11 વર્ષની હતી, ત્યારે તાઈ-ભાઉજીએ તેનું ઉપનયન કરવાનું આયોજન કર્યું. 1919માં મધુએ અંગ્રેજી હાઈસ્કૂલમાં પ્રવેશ કર્યો. સાતમા ધોરણ પછી હાઈસ્કૂલ એન્ટ્રન્સ સ્કોલરશિપની પરીક્ષા જીત્યા બાદ તેમને પ્રતિમાસ 4 રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી.
બાળપણથી જ માધવને વાંચવું ખૂબ ગમતું હતું. તેનું મન વાંચનમાં ખૂબ લાગતું હતું. અભ્યાસ ઉપરાંત તેઓ રમતમાં પણ ભાગ લેતા હતા અને હોકી તેમની પ્રિય રમત હતી. નાગપુરમાં શૈક્ષણિક સમય દરમિયાન માધવ અન્ય કળાઓમાં પણ રસ લેવા લાગ્યો. પ્રસિદ્ધ મુરલી વાદક પંડિત સાંવલારામ સાથે સંપર્કમાં આવીને તેમણે મુરલી વગાડવાનું શીખવાનું શરૂ કર્યું. સતત અભ્યાસથી માધવે સંગીતના ઘણા રાગોમાં સારી પકડ મેળવી લીધી.
કાશી શહેર ગોલવલકરજીના જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. 1924માં માધવ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે કાશી આવ્યા અને 1924માં પ્રાણિશાસ્ત્રમાં બીએસસીમાં પ્રવેશ મેળવ્યો. 1929ના મધ્યમાં ચેન્નઈનું અન્વેષણ અધૂરું રાખી માધવરાવ નાગપુર આવ્યા. બે વર્ષ પછી, 1931માં વિશ્વવિદ્યાપીઠમાં શિક્ષક બન્યા. માધવરાવ ગોલવલકરનો સંઘપ્રવેશ 1931માં થયો હતો, જ્યારે તેઓ કાશીમાં શિક્ષણ માટે આવ્યા હતા. તે પહેલાં નાગપુરમાં તેમના ઘણા મિત્રો અને સબંધીઓ સંઘના સ્વયંસેવક હતા.
1932માં ઉનાળાના વેકેશનમાં ગુરુજી નાગપુર આવ્યા. તે જ સમયે તેમનો ડૉ. હેડગેવાર સાથે પહેલો સંપર્ક થયો. ડૉક્ટરજી પ્રથમ મુલાકાતમાં જ ગુરુજીની સામે ઊભા રહીને પૂછયું, 'શું તમે માધવરાવ ગોલવલકર છો?' એ તેમનો ડૉ. હેડગેવાર સાથે પહેલો પરિચય હતો.
નાગપુરમાં ડૉક્ટરજીના ઘરમાં ગુરુજી નિયમિત રીતે આવવા લાગ્યા. સંઘની શાખામાં પણ તેઓ નિયમિત હાજરી આપતાં રહ્યા. લાહોરના વર્ગમાં ડૉક્ટરજીને કમરનો દુખાવો વધારે થઈ ગયો. તેથી આગળના કાર્યક્રમના આયોજનને સ્થગિત કરી, તેઓ દિલ્હીના માધ્યમથી સપ્ટેમ્બરમાં નાગપુર પરત આવ્યા. વીસ દિવસના લાંબા આ પ્રવાસ દરમિયાન ડૉક્ટરજીને ગુરુજીનું નજીકથી નિરીક્ષણ કરવાની પૂરતી તક મળી. ડૉ. હેડગેવારજીએ પોતાના અવસાન પહેલાં જ એક પત્ર દ્વારા સ્પષ્ટ કર્યું હતું કે તેમના પછી સંઘની જવાબદારી માધવરાવ સદાશિવ ગોલવલકર (ગુરુજી) સંભાળશે. ડૉ. હેડગેવારજીના નિધનના બીજા જ દિવસે એટલે કે 22 જૂન, 1940ના રોજ ગુરુજી વિધિવત રીતે સંઘના બીજા સરસંઘચાલક બન્યા. ગુરુજીએ ડૉ. હેડગેવારજીના વારસાને આગળ વધાર્યો અને સંઘને વટવૃક્ષ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 1970 સુધી તેમણે સંઘના કાર્યકર્તાઓનું માર્ગદર્શન કર્યું.
આ સંસ્થાઓની સ્થાપના ગુરુજીના સમયે થઈ
ગુરુજીના કાર્યકાળ (1940-1973) દરમિયાન સંઘની વિચારધારાને સમાજના વિવિધ ક્ષેત્રો સુધી પહોંચાડવા માટે અનેક મહત્વના સંગઠનોની રચના થઈ હતી. જેને આજે આપણે 'સંઘ પરિવાર' તરીકે ઓળખીએ છીએ. આ સમયગાળામાં વિદ્યાર્થીઓ માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP - 1949), રાજકીય ક્ષેત્રે ભારતીય જનસંઘ (1951) (જે અત્યારે ભાજપ તરીકે ઓળખાય છે), શ્રમિકો માટે ભારતીય મઝદૂર સંઘ (1955), વનવાસીઓના કલ્યાણ માટે વનવાસી કલ્યાણ આશ્રમ (1952) અને વિશ્વભરના હિન્દુઓને સંગઠિત કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ (1964) જેવા પ્રમુખ સંગઠનોની સ્થાપના ગુરુજીના માર્ગદર્શન અને સહયોગથી કરવામાં આવી હતી.