વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
RSSના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના સૌરાષ્ટ્ર પ્રવાસની સ્મૃતિઓને જીવંત કરતી સ્મરણિકા પત્રીકાનું વિમોચન    •    સૌરાષ્ટ્રમાં પ્રેસ વાર્તામાં સંઘકાર્યની વૃદ્ધિ અંગે માહિતી : દેશમાં ૫,૮૨૦ નવી શાખાઓનો વધારો    •   
ભારતની જ્ઞાન પરંપરાનો ઉદ્દેશ્ય કોઈના પર પ્રભુત્વ સ્થાપિત કરવાનો નથી - ડૉ. મોહન ભાગવતજી
Education

ભારતની જ્ઞાન પરંપરાનો ઉદ્દેશ્ય કોઈના પર પ્રભુત્વ સ્થાપિત કરવાનો નથી - ડૉ. મોહન ભાગવતજી

ભારતીય શિક્ષણ મંડળની અખિલ ભારતીય પ્રાંત ટોળી બેઠકમાં નવી વેબસાઇટનું લોકાર્પણ તથા ‘વિવિભા’ પુસ્તકનું વિમોચન

બેંગલુરુ, 28 જૂન, 2026: ભારતીય શિક્ષણ મંડળની ત્રણ દિવસીય અખિલ ભારતીય પ્રાંત ટોળી બેઠકનું સમાપન આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટરમાં થયું. આ બેઠકમાં દેશના 43 પ્રાંતોમાંથી આવેલા કુલપતિઓ, શિક્ષણવિદો, સંશોધકો, શિક્ષકો અને કાર્યકરો સહિત આશરે 380 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. સમાપન સત્રના મુખ્ય અતિથિ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતજી રહ્યા હતા.

આ અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સભ્ય ડૉ. મનમોહન વૈદ્યજી, ભારતીય શિક્ષણ મંડળના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. સચ્ચિદાનંદ જોશીજી, અખિલ ભારતીય મહામંત્રી ડૉ. ભરત શરણજી, અખિલ ભારતીય સંગઠનમંત્રી બી.આર. શંકરાનંદજી સહિત અખિલ ભારતીય કાર્યકારિણીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની કાર્યવૃત્તિ તેમજ ત્રણ દિવસીય વિચાર-મંથનના મુખ્ય તારણો ભારતીય શિક્ષણ મંડળના અખિલ ભારતીય સંયુક્ત મહામંત્રી સુનીલ શર્માજીએ રજૂ કર્યા હતા.

“વિશ્વને સાચો બોધ કરાવતી શિક્ષણ વ્યવસ્થાનું નિર્માણ કરીએ”

સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતજીએ જણાવ્યું કે આજે સમગ્ર વિશ્વ અનેક સંકટો અને જટિલ પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે. વર્તમાન વૈશ્વિક વિચારધારાઓ અને વ્યવસ્થાઓ જીવનને આંશિક દૃષ્ટિએ જુએ છે, જ્યારે ભારતની દૃષ્ટિ જીવન, સમાજ, પ્રકૃતિ અને સમગ્ર સૃષ્ટિને એકાત્મ ભાવથી સમજે છે. ભારતની જ્ઞાનપરંપરાનો હેતુ કોઈ પર પ્રભુત્વ સ્થાપિત કરવાનો નથી, પરંતુ ધર્મ, સંતુલન અને સમગ્ર માનવજાતિના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરવાનો છે.

તેમણે જણાવ્યું, “વિશ્વને પૂર્ણતાની દિશા આપવાનું કાર્ય આપણું છે. આપણી સમન્વયાત્મક દૃષ્ટિના આધારે સમગ્ર પ્રાણીમાત્રના કલ્યાણ માટે ભારતનો સંદેશ વિશ્વે સાંભળવો જ પડશે. આ સમયની આવશ્યકતા પણ છે અને અનિવાર્યતા પણ છે.”

તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતીય દૃષ્ટિકોણ અન્ય વિચારધારાઓને નકારતો નથી, પરંતુ દરેક સમાજના અનુભવજન્ય સત્યનો સન્માન કરે છે. ભારતીય ચિંતનની ‘અનેકતા’ની સંકલ્પના વિવિધ દૃષ્ટિકોણોનો આદર રાખીને શાસ્ત્રાર્થ અને સંવાદના માધ્યમથી સત્યના વ્યાપક સ્વરૂપને સમજવાનો માર્ગ પ્રદાન કરે છે.

“ભારતીય શિક્ષણ મંડળ એક વ્યાપક સાંસ્કૃતિક-સભ્યતાગત દાયિત્વનું વહન કરે છે”

સરસંઘચાલકજીએ જણાવ્યું કે ભારતીય શિક્ષણ મંડળનું કાર્ય માત્ર મર્યાદિત સંગઠનાત્મક પ્રવૃત્તિ નથી, પરંતુ ભારતના વ્યાપક સાંસ્કૃતિક-સભ્યતાગત દાયિત્વનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. આ કાર્ય એવી શિક્ષણ વ્યવસ્થાના નિર્માણ માટે છે, જે માનવના સર્વાંગી વિકાસને કેન્દ્રસ્થાને રાખે છે અને માત્ર આજીવિકા કે આર્થિક સફળતા સુધી મર્યાદિત રહેતી નથી.

તેમણે જણાવ્યું કે ભારતીય શિક્ષણ મંડળ હંમેશા રાજકીય પક્ષો અને તેમની મર્યાદાઓથી સ્વતંત્ર રહીને કાર્ય કરે છે. સમાજ અને શિક્ષણ ક્ષેત્રે દીર્ઘકાલીન પરિવર્તન માટે વૈચારિક સ્વતંત્રતા તથા મૂલ્યઆધારિત દૃષ્ટિ અનિવાર્ય છે.

“નિરંતરતા, એકાગ્રતા અને દૂરંદેશીથી જ પરિવર્તન શક્ય બનશે”

રાષ્ટ્રનિર્માણમાં શિક્ષણની ભૂમિકા પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું કે કોઈપણ કાર્યકરનો સૌથી મહત્ત્વપૂર્ણ ગુણ એકાગ્રતા અને નિરંતરતા છે. પરિવર્તન માત્ર ઘોષણાઓ અને કાર્યક્રમોથી આવતું નથી, પરંતુ સતત સાધના, શિસ્તબદ્ધ પ્રયત્નો અને દીર્ઘકાલીન પ્રતિબદ્ધતાથી જ શક્ય બને છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના સંદર્ભમાં તેમણે શિક્ષણવિદોને આહ્વાન કર્યું કે તેઓ માત્ર નીતિના અમલીકરણ સુધી મર્યાદિત ન રહે, પરંતુ શિક્ષણના માધ્યમથી કેવા ભારતનું નિર્માણ કરવું છે તે અંગે પણ ગંભીરતાથી વિચાર કરે. દૃષ્ટિ વગરનું કાર્ય અંધ હોય છે અને કાર્ય વગરની દૃષ્ટિ નિષ્પ્રાણ બની જાય છે.

તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ ભારતને એક ઐતિહાસિક તક પ્રદાન કરી છે, જેને ભારતીય અનુભવ, ભારતીય ચિંતન અને ભારતીય શિક્ષણ મોડેલના આધારે અર્થપૂર્ણ બનાવવી જોઈએ.

“કૌશલ્ય અને સંસ્કારનો સમન્વય જ ભારતીય શિક્ષણનો આદર્શ છે”

તેમણે જણાવ્યું કે વર્તમાન સમયમાં કૌશલ્ય આધારિત શિક્ષણની જરૂરિયાત છે, જેથી યુવાનો રોજગારલક્ષી, ઉદ્યોગસાહસિક અને આત્મનિર્ભર બની શકે. પરંતુ સંસ્કારવિહીન કૌશલ્ય સમાજમાં અસંતુલન સર્જી શકે છે. ભારતીય શિક્ષણનો હેતુ એવા વ્યક્તિત્વનું ઘડતર કરવાનો છે, જેમાં કુશળ હાથ, ચિંતનશીલ મસ્તિષ્ક અને સંવેદનશીલ હૃદયનો સમન્વય હોય.

ભારતની સાંસ્કૃતિક-સભ્યતાગત ચેતનાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે ભારતની શ્રેષ્ઠતા કોઈ અહંકાર પર નહીં, પરંતુ તેના અનુભવ, જીવનદૃષ્ટિ અને ધર્મનિષ્ઠ પરંપરા પર આધારિત છે. આજે જ્યારે વિશ્વ ટકાઉ જીવનશૈલી, સંતુલિત વિકાસ અને માનવીય મૂલ્યોની શોધમાં છે, ત્યારે ભારતીય જ્ઞાનપરંપરાઓ તેના અનેક પ્રશ્નોના ઉકેલ પ્રદાન કરી શકે છે.

તેમણે જણાવ્યું, “અમે આધુનિકતાનો વિરોધ નથી કરતા, પરંતુ તેને ભારતીયતાના આધાર પર પ્રતિષ્ઠિત કરી રહ્યા છીએ. અમારો હેતુ એવી પેઢી તૈયાર કરવાનો છે, જે વૈશ્વિક સ્તરે સક્ષમ હોવાની સાથે પોતાની સાંસ્કૃતિક જડો, ભારતીય મૂલ્યો તેમજ રાષ્ટ્ર અને માનવતા પ્રત્યેની જવાબદારી સાથે પણ જોડાયેલી રહે.”

આ પ્રસંગે સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતજીએ ભારતીય શિક્ષણ મંડળની નવી અધિકૃત વેબસાઇટનું લોકાર્પણ કર્યું. વેબસાઇટના લોકાર્પણની પ્રક્રિયાનું સંચાલન ભારતીય શિક્ષણ મંડળના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ ડૉ. સંજય પાઠકજીએ કર્યું. આ સાથે ‘વિવિભા’ વિષયક પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું.

નવી વેબસાઇટ ભારતીય શિક્ષણ મંડળની પ્રવૃત્તિઓ, વિચારો, સંશોધન તથા ભારતીય શિક્ષણ દૃષ્ટિને દેશ-વિદેશના શિક્ષકો, સંશોધકો, વિદ્યાર્થીઓ અને સમાજના વ્યાપક વર્ગ સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

બેઠકનું સમાપન ભારતીય જ્ઞાનપરંપરા આધારિત, સર્વાંગી, મૂલ્યનિષ્ઠ અને રાષ્ટ્રાભિમુખ શિક્ષણ વ્યવસ્થાના નિર્માણના સંકલ્પ સાથે થયું. ભારતીય શિક્ષણ મંડળે દેશભરના શિક્ષકો, શિક્ષણવિદો, સંશોધકો તથા શિક્ષણ સંસ્થાઓને આ રાષ્ટ્રીય શૈક્ષણિક પુનર્જાગરણ અભિયાનમાં સક્રિય સહભાગિતા માટે આહ્વાન કર્યું.

Leave a Comment